26
#NEWSSURAT #૯મીમેવર્લ્ડમધર્સડે #EXOTICWEBMEDIADIGITALCHANNELWORLDWIDE *કોરોના કહેર વચ્ચે સુરતમાં ૫૬ કોવિડ પોઝિટીવ મહિલાઓની સફળ પ્રસૂતિ* *સુરતની નવી સિવિલમાં ૬૦૦ અને સ્મીમેરમાં ૭૧૬ પ્રસૂતા માતાઓએ શિશુઓને જન્મ આપ્યો* સૂરતઃશનિવારઃ- વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓના સન્માન માટે એક ખાસ દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'વર્લ્ડ મધર્સ ડે' એટલે કે માતૃદિનની વિશ્વવ્યાપી ઉજવણી કરવામાં આવે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એડી.પ્રોફેસર ડો.અંજની શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં માર્ચ અને એપ્રિલ મહિના અને હાલ સુધીમાં ૬૦૦ જેટલી સગર્ભા મહિલાઓની સફળ ડિલીવરી કરવામાં આવી છે, જે પૈકી ૪૪ કોવિડ પોઝિટીવ મહિલાઓની ડિલીવરી કરવામાં આવી હતી. જન્મ થયેલા બાળકો પૈકી કોઈ બાળક પોઝિટીવ આવ્યું નથી. પરંતુ ખાનગી હોસ્પિટલમાંથી ત્રણ જેટલા માતા અને બાળક પોઝિટીવ આવ્યા બાદ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી બે બાળકો સ્વસ્થ થયા છે. જયારે એક બાળકનું ખેંચ, મગજનો સોજો જેવી જન્મજાત બિમારીના કારણે મૃત્યુ થયું હતું. સ્મિમેર હોસ્પિટલમાં માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન ૭૧૬ સગર્ભા મહિલાઓની ડિલીવરી કરવામાં આવી હતી. જેમાં ૧૬ કોવિડ પોઝિટીવ સગર્ભા મહિલાઓ પૈકી ૧૨ની સફળ ડિલીવરી કરવામાં આવી હતી. જોકે તેમાંથી કોઈ બાળક પોઝીટીવ આવ્યું નથી તેમ સ્મિમેરના ગાયનેક વિભાગના વડા અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું. વધુ વિગતો આપતા સિવિલના બાળરોગ વિભાગના હેડ ડો.વિજયભાઈ શાહ જણાવે છે કે, જયારે માતા પોઝિટીવ હોય અને બાળક નેગેટિવ હોય તેવા સમયે માતા પોતાનું ધાવણ બાળકને આપી શકે છે. માતાના ધાવણથી બાળકને કોરોનાનું જોખમ નહિવત છે. પરંતુ આ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. માતાએ સ્તનપાન કરાવતી વખતે સાબુથી હાથ ધોઈ, સેનિટાઈઝ કરી મોં, નાક કવર થાય એ રીતે માસ્ક પહેરવું જોઈએ. માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે, અને બાળકને ઘણા રોગોથી બચાવે છે. જો માતા ઓક્સિજન પર હોય તો માતાનું ધાવણ કાઢીને ચમચી અને વાટકીમાં લઈ બાળકને આપી શકાય અથવા અન્ય માતાનું ધાવણ પણ આપી શકાય. ચમચી અને વાટકીને ઉકળતા પાણીમાં ૧૦ મિનિટ સુધી રાખ્યા બાદ જ ઉપયોગમાં લેવા જોઈએ. આવા સંજોગોમાં ડોકટરની સલાહ અનુસાર બાળકને ડેરીમાં મળતુ પેસ્ચ્યુરાઇઝડ દુધ આપી શકાય છે. *પરિવારને એકસૂત્રમાં બાંધતી અને બાળકની પોષણહાર માતાના સન્માન માટે થાય છે મધર્સ ડેની ઉજવણી* 'વર્લ્ડ મધર્સ ડે'ની ઉજવણીની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ. જાર્વિસને જાય છે. તા.૯મી મે ૧૯૧૪ ના રોજ શરૂ કરાઈ હતી. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર ‘એના જાર્વિસ’ તેમની માતા પ્રત્યેના બેહદ લગાવ અને પ્રેમના કારણે તેમણે લગ્ન કર્યા નહોતા. માતાના અવસાન પછી તેમણે માતા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું, જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન ૯ મે ૧૯૧૪ ના રોજ એક કાયદો પસાર કરીને કાયદામાં લખ્યું કે, દર વર્ષે મેના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવશે. ત્યારથી સમગ્ર વિશ્વમાં માતૃ દિનની વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે. સ્ત્રીઓને કરૂણાનું પ્રતિક માનવામાં આવે છે. માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. કવિઓએ બાળક અને માતા વચ્ચેના નિર્દોષ અને સંવેદનશીલ પ્રેમના ભાવવાહી ગીતોનું વર્ણન કર્યું છે. માતાના પ્રેમને રજૂ કરતી રચના ગુજરાતના ખ્યાતનામ કવિ બોટાદકરની રચના અવિસ્મરણીય છે. 'મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ.. એથી મીઠી તે મોરી માત રે.. જનનીની જોડ સખી નહી જડે રે લોલ..' -૦૦-
2021-05-08 11:40:27